બા ન હોય ત્યારે


બા ન હોય ત્યારે

photo: Kokila Raval, Birmingham UK

આમ તો કશું ન થાય…
બાપુજી ઓફિસે જાય
દાદીમા માળા ફેરવે,
મનુ કોલેજ જાય…
બધું જ થાય,
પણ જાણે મોળું,
ખાંડ વગરની ચા જેવુ.

બા ન હોય ત્યારે
કોઈ ગુસ્સે થાય,
મનુ રાતે મોડો આવે તો
કોઈ વારે ઘડીએ અધીરાઈથી
બારીએ ન ડોકાય,
ઘડિયાળના કાંટા બરછી-ભાલાં જેવા
ન થઈ જાય,
કોઈની વ્યાકુળ આંખે
હમણાં પડ્યા કે પડશે એવાં
અદશ્ય આંસુઓનું તોરણ ન બંધાય,
ગળે બાઝેલા ડૂમા આડે
ઠપકાને ઓગાળી દઈ
કોઈ મનુને પૂછે નહીં-
થાક્યો હોઈશ ભાઈ,
થાળી પીરસી દઉંને?

બા ન હોય ત્યારે
સવાર પડે, પણ પૂજા કરવા બેઠેલાં દાદીને
વાટ જડે નહીં
ઠાકોરજીને મોહનથાળ ને ઠોર મળે નહીં
બાપુજીને ગંજી, પાકીટ, ચાવી મળે નહીં
રસોડામાંથી વઘારની સોડમ તો આવે
પણ એમાં દાઝેલાં શાકની ગંધની
ભેળસેળ થઈ જાય,
પાણીની ઠીબ સુકાઈ જાય,
પંખી ચણ વિના ઊડી જાય,
તુલસી સુકાઈ જાય….

બા ન હોય ત્યારે આમ તો કશું ન થાય,
એટલે કે
કશું જ ન થાય…


લેખક: ઉષા ઉપાધ્યાય
પુસ્તક:
ઉષા ઉપાધ્યાયનાં કાવ્યો, સં. કેતન બુંહા

One thought on “બા ન હોય ત્યારે

Leave a comment